નિબંધ લેખન એજ્યુકેશન

મકરસંક્રાંતિ, ઉતરાયણ નિબંધ ગુજરાતી – Makar Sankranti, Uttarayan 2024 Nibandh in Gujarati

ઉતરાયણ નિબંધ ગુજરાતી
Written by Gujarat Info Hub

મકરસંક્રાંતિ નિબંધ ગુજરાતી | મારો પ્રિય તહેવાર નિબંધ ઉતરાયણ | ઉતરાયણ વિશે 10 વાક્યો |ઉતરાયણ નિબંધ ગુજરાતી ધોરણ 7 | Uttarayan Essay in Gujarati 10 lines | Nibandh

ઉતરાયણ નિબંધ ગુજરાતી – Makar Sankranti Essay In Gujarati

ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે. ઉત્તરાયણના તહેવારને મકરસંક્રાંતિ પણ કહે છે. ઉતરાયણનો તહેવાર ૧૪ મી જાન્યુઆરીના દિવસે આવે છે. આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર પોષ સુદ ત્રીજ ને રવિવારના દિવસે આવે છે.ઉતરાયણ નો અર્થ થાય છે ઉત્તર તરફ ગમન કરવું. આ દિવસથી સૂર્યનારાયણ ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરતા હોઈ તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નો અર્થ થાય છે, મકરમાં સંક્રાંત થવું. આપણે ત્યાં સામુદ્રિકશાસ્ત્રમાં 12 રાશિઓ અને 27 નક્ષત્રો છે. આ દિવસે સૂર્યની ધન રાશિમાંથી મકર રાશી તરફ સંક્રાંત થવાની આ ઘટનાને આપણે મકરસંક્રાંતિ કહીએ છીએ.

મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો આ તહેવાર સમગ્ર ભારતભરમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે. આસામમાં બીહુ, કેરલમાં ઓણમ, તામિલનાડુમાં પોંગલ, હરિયાણા અને પંજાબ માં માધી, જ્યારે ઉત્તર પ્રદેશ  માં  ખીચડી  ના નામે આ તહેવાર મનાવવામાં આવે છે. આપણે ત્યાં દરેક તહેવારનું  પરંપરાગત ધાર્મિક અને સામાજીક મહત્વ છે. તહેવારો માનવ જીવનની એકધારી પ્રવૃતિઓ ,કામની વ્યસ્તતા અને થાકને દૂર કરી નવી ચેતના અને સ્ફુર્તી આપે છે .ઉતરાયનનો તહેવાર બાળકો યુવાનો અને મોટેરાઓ એમ સૌ અબાલ વૃધ્ધો માટે આનંદનો અવસર બની રહે છે.

ઉતરાયણ ના તહેવારનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. એ રીતે સમાજના તમામ વય જૂથના લોકો માટે ઉતરાયણ નું પર્વ મહત્વનું છે .ઉતરાયણનો તહેવારમાં (Kite Festival) બાળકો અને યુવાનો માટે પતંગ ચગાવવાનું અને જાત જાતની મીઠાઈની મજા માણવાનું અને ખુબજ આનંદ પ્રમોદ નું પર્વ બને છે .તો વડીલો માટે દાન પુણ્યનો મહિમા અને ભક્તિનો સંદેશ આપનાર તહેવાર છે .  ઉતરાયણ આવેતે પહેલાં જ શહેરોમાં પતંગ અને દોરીના વેપારીઓ પોતાની દુકાનો અવનવા રંગબેરંગી પતંગોથી સજાવી દે છે. ફૂટપાથ પર જ્યાં જુઓ ત્યાં પતંગોની દુકાનો મંડાય છે. પતંગ રસીયાઓ વિવિધ પ્રકારની પતંગો અને મનપસંદ દોરી તૈયાર કરાવે છે.

હવેતો ગામડાં ઓમાં પણ ઉતરાયણ પહેલાં પતંગ ની તૈયારીઓ શરૂ થાય છે ઉતરાયણ ની વહેલી સવારથીજ બાળકો અને યુવાનો જાત જાતના પતંગ લઈ મકાનો ના ધાબા ઉપર ચડી જાય છે . ને પતંગ ચગાવવાની અને પતંગ કાપવાની મજા માણે છે . હે કાપ્યો.. હે ..ગઈ ..એવા અવાજો અને કીકીયારીઓથી આખું આકાશ ગાજવી મૂકે છે .  સાથે સાથે તલની ચીકી ,તલસાંકળી ,જલેબી ફાફડા અને ઊંધીયા જેવા ફરસાણ ની લીજ્જત માણે છે . ગોગલ્સ અને હેટ પહેરી પેચ લડાવતા યુવકો હવે તો ડીજે અને લાઉડ સ્પીકર ના સથવારે મનગમતા ગીતો ના તાલે ઝૂમી  આનંદ માણે છે. સાંજે પણ તુક્કલ ચગાવીને આકાશને રંગબેરંગી રંગોથી ભરી દે છે.

               ઉતરાણ દરમિયાન થતા અકસ્માતો આનંદને બદલે ચિંતા ઉપજાવતા હોય છે,એ બાબત ધ્યાનમાં રાખી ધાબા ઉપર બાળકોની તકેદારી રાખવી .ઇલેક્ટ્રીક થાંભલે અટવાયેલાં પતંગ ક્યારેય  લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહી .ચાઇનીઝ દોરીનો  ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહી .રસ્તા ઉપર દોડવું નહી. નિર્દોષ પક્ષીઓને જાળવવાનો પ્રયત્ન કરવો .સાવચેતીની  તમામ બાબતો ધ્યાન માં રાખી પતંગ નો આનંદ માણવો જોઈએ.

       ઉતરાયણનો તહેવાર દરેક પ્રદેશમાં અલગ અલગ પરંપરાઓ અને માન્યતાઓ ધરાવે છે . ઉતરાયણ ભાઈચારો, એકતા અને વિકસિત થવાનો સંદેશ આપે છે . આપણો દેશ ખેતી પ્રધાન છે . ખેડૂત ચોમાસા પછી પોતાના પાકને તૈયાર કરવા ખળામાં લાવે છે . પાક તૈયાર થયા પછીની આ ઉજવણી માં બરછટ અનાજનું ખૂબ મહત્વ છે.

ગુજરાતમાં આ દિવસે બાજરી ,જુવાર અને અન્ય આરોગ્યપ્રદ જાડાં સાત ધાન્ય માંથી  ખીચડો બનાવી તેને તેલ સાથે ખાવાની પરંપરા છે .ભારતે હમેશાં વિશ્વને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું  છે . આજ ના સમયમાં વિસરાતાં જતાં આ જાડાં ધાન્યને વિશ્વ ફલક પર લઈ જવા આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘને 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય જાડાં ધાન્ય વર્ષ તરીકે જાહેર કરવા કરેલા પ્રસ્તાવને માન્ય રાખી સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2023 ના વર્ષને  આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ international year of Millets તરીકે જાહેર કર્યું .ઉતરાયણ ના દિવસે બનતો આ ખીચડો ભગવાનને ધરી ,તેમાં તેલનો ઉપયોગ કરી ખાવામાં આવે છે .આપણા ઋષિઓએ દરેક ઋતુના તહેવાર માં આરોગ્ય સાથે ઋતુનો સમન્વય કરી આપણને ખોરાકની મહતા સમજાવી છે .તેમજ ઉતરાયણના દિવસે ઘરના વડીલ સભ્યો ઠાકર ભગવાનની ચોરી તૈયાર કરી,તેમનાં લગ્ન કરાવે છે .આ દિવસ થી લગ્ન પ્રસંગો ચાલુ થાય છે . આપણે ત્યાં એવી માન્યતા પ્રવર્તે છે કે સૌ પ્રથમ ઠાકોરજીનાં લગ્ન થાય ,પછીજ બીજાનાં લગ્ન કરી શકાય .

આયુર્વેદ અનુસાર શિયાળામાં ઠંડી ઋતુમાં ચામડીના સ્વાસ્થ્ય માટે સ્નિગ્ધ (તૈલી)  ખોરાક  ખાવાનો મહિમા છે  .એટલે આપણે ત્યાં ઉતરાયણના તહેવારે તલના લાડુ અને તલસાંકળી ખાવાનો મહિમા છે .આ દિવસનું ધાર્મિક મહત્વ  પણ ઘણું છે. આ દિવસે દાન પુણ્ય કરવામાં આવે છે. કૂતરાંઓ માટે લાડુ ,ગાયને ઘાસ અને ગરીબ લોકોને ધાબાળાનું વિતરણ કરે છે. ઉતરાયનનો તહેવાર આપણને અંધકાર ઉપર પ્રકાશનો વિજય ,વધુ ઉન્નત અને વધુ તેજસ્વી બનવાનો સંદેશ આપે છે .ઉતરાયણનો તહેવાર અનેક વિવિધતા થી સભર છે એટલે જ આ તહેવાર મને ગમે છે .

વાચો :- માટી બચાવો અભિયાન પર નિબંધ

અમારો આ મકરસંક્રાંતિ નિબંધ ગુજરાતી અથવા કહીએ તો ઉતરાયણ નો ઇતિહાસ આપને ગમ્યો હોય તો કોમેન્ટ કરશો. અને બીજા આવા અનેક વિષયો ઉપર ગુજરાતી નિબંધ વાંચવા માટે અમારી આ વેબસાઈટ ને જોતા રહેશો આભાર .

About the author

Gujarat Info Hub

Leave a Comment